યોગીની એકાદશી
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘હે યુધિષ્ઠિર! સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ. આમાં દાન, દમ, ઇન્દ્રિયનિગ્રહ, યજ્ઞા, નિષ્ઠા, તપ, સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે.
યોગ દૈવી ગુણ છે, તે જીવન પ્રકાશિત કરે છે, જીવનને મહાન બનાવે છે. ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે. યોગ, વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે. યોગ, વ્રત, તપ, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે દૈવી તત્ત્વો છે.
વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે. યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જગત તેને ભોગનો વિષય નહીં, પણ ભક્તિનો વિષય લાગે છે. જગત ભોગનો વિષય નથી, ભક્તિનો વિષય છે. વ્રત દ્વારા તપ કરવાનું છે, સાધના કરવાની છે. ‘તપો દ્વંદ્વ સહનમ્‘ તપ એટલે સુખ-દુઃખ જેવાં દ્વંદ્વો સહન કરવાં. નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ-દુઃખ સહન કરે છે તે વ્રત છે, તપ છે. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે. વ્રતની માફક તપ પણ દૈવી સંપત્તિનો ગુણ છે.
ઉપાસના એટલે સાધના. સાધનાનું અંતિમ સોપાન સમાધિ છે. આ‘યોગ’ની એક એવી અવસ્થા છે, જેમાં યોગીને કે સાધકને મોક્ષ પૂર્વેની સ્થિતિમાંથી પસાર થવું પડે છે.
યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષપદની પરમ પ્રાપ્તિનો આગ્રહ રાખે છે. સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું જ્ઞાન થવું કે અનુભૂતિ થવી તે જ‘સમાધિ’ની સ્થિતિ છે.
યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં મળી જાય છે, તેના ધ્યેયથી તેની ભિન્ન સ્થિતિ નથી હોતી, તે સમયે તે ધ્યાન જ‘સમાધિ’ કહેવાય છે.
યોગદર્શનમાં મર્હિષ પતંજલિએ કહ્યું છે કે, ‘જ્યારે ધ્યાનમાં માત્ર ધ્યેયની જ પ્રતીતિ કે અનુભૂતિ થાય છે અને ચિત્તનું પોતાનું સ્વરૂપ શૂન્ય સમાન થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ બની જાય છે.‘
એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે. ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે, તેને રિદ્ધિ-સિદ્ધિ, યશ-કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે. ઉપાસના અચેતન મનને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે. ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્ત્વપૂર્ણ સાધન છે.
શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ ચાર મુક્તિનાં સાધન છે. આમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. આત્મતત્ત્વનું ચિંતન એ ભક્તિ છે, પોતાના સાચા સ્વરૂપનું મનન એ જ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપની પરખ તરફ દોરી જાય એ ભક્તિ છે. શ્રદ્ધા એ ભક્તિનું પૂરકબળ છે, ધ્યાનનું પ્રેરકબળ છે. સાધના કે ઉપાસનાનું અંતિમ સોપાન સમાધિ છે.
શ્રીકૃષ્ણ ધર્મરાજાને કહે છે, ‘આ યોગિની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓને તારનારી છે. યોગિની એકાદશીની કથા આ પ્રમાણે છે.
અલકાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો.‘હેમમાલી’ નામનો તેનો સેવક પૂજાની સામગ્રી લાવી આપતો. આ સેવકની પત્ની‘વિશાલાક્ષી’ અતિ સ્વરૂપવાન હતી. તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો. એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળફળાદિ વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં. કુબેરે શિવપૂજા કરવા મોડે સુધી રાહ જોઈ.
કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શાપ આપ્યો કે, ‘તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુલોકમાં પતન થશે.’’
હેમમાલી માર્કંડેય મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે. મુનિવર્ય આદેશ આપે છે કે, ‘તું જો યોગિની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે.‘
માર્કંડેય મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ. સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખભોક્તા થયો.’’
આ અનુપમ યોગિની એકાદશીનું વ્રત કરવાથી ઇઠયાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપનાશિની ગણાય છે.
મહાપાપપ્રશમની મહાપુણ્યફલપ્રદા ।
શુચિ કૃષ્ણૈકાદશી તે કથિત યોગિની નૃપ ।।
યોગ શરીર અને મનનો સંયમ શીખવે છે. પ્રભુ સાથે એકતા કર્યા વિના સાચો યોગ સધાતો નથી. પ્રભુનાં ચરણોમાં આત્મસમર્પણ દ્વારા તે યોગ સિદ્ધ થઈ શકે છે, આથી‘યોગિની એકાદશી’ નામાભિધાન અર્થસૂચક છે.