LogoLogo
Logo
સૂર્યોદય:  ૦૬:૧૫ AM
સૂર્યાસ્ત:  ૦૮:૫૮ PM

આષાઢ સુદ આઠમ - વિક્રમ સંવત ૨૦૮૧

Moonજુલાઈ , ૨૦૨૫
ગુરુવાર

શુભ (સારું):  ૦૬:૧૫ AM - ૦૮:૦૫ AM

રોગ (દુષ્ટ):  ૦૮:૦૫ AM - ૦૯:૫૬ AM

ToranToran

પાપમોચિની એકાદશી

પાપમોચિની એકાદશી

મહારાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્‍ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્‍ણપક્ષની એકાદશી વિશે જાણવાની ઇચ્‍છા વ્‍યકત કરી. ત્‍યારે તેઓ બોલ્‍યા ‘રાજન! હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્‍યાન કહું છું જે ચક્રવતી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમશે કહ્યું હતું.‘ માંધાતાએ પૂછયું : ‘ભગવાન ! હું લોકોના હિતની ઇચ્‍છા એ સાંભળવા ઇચ્‍છુ છું કે ફાગણ માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે‘ એની વિધિ શું છે ? અને એના વ્રતથી શું ફળ પ્રાપ્‍ત થાય છે ? કૃપા કરીને આ બધું મને કહો. ‘લોમેશજીએ કહ્યું : ‘નરેશોમાં શ્રેષ્‍ઠ રાજન ! પૂર્વકાળની વાત છે. અપ્‍સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જયાં ગંધર્વોની કન્‍યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્‍યાં મંજુઘોષા નામની અપ્‍સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઇ. મહર્ષિ ચૈત્રરથવનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઇ ગઇ. અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મૂનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્‍યાં જઇ પહોચ્‍યા અને એ સુંદર અપ્‍સરાને આ રીતે ગાતી જોઇને અકારણ જ મોહને વશીભુત થઇ ગયા. મુનિની આવી અવસ્‍થા જોઇને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મુકીને એમને આલીંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્‍યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઇ ગયા સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું : બ્રાહ્મન્ ! મને હવે મારા લોકમાં જવાની રજા આપો.‘ મેઘાવી બોલ્‍યાઃ ‘દેવી ! જયાં સુધી સવારની સંધ્‍યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો.‘ અપ્‍સરાએ કહ્યું : ‘વિપ્રવર ! અત્‍યાર સુધી કોણ જાણે કેટલીયે સંધ્‍યાઓ જતી રહી! મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો.‘ લોમેશજી કહે છેઃ ‘રાજન ! અપ્‍સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઇ ગયા ! એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્‍યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઇ ગયા અપ્‍સરાને પોતાની તપસ્‍યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્‍યો. એમણે શ્રાપ આપતા કહ્યું. ‘પાપિણી ! તું પિશાચીની બની જા.‘ મુનિના શ્રાપથી વિચલીત થવા છતાં એ વિનયથી મસ્‍તક નમાવીને બોલીઃ ‘મુનિવર ! મારા શ્રાપનો ઉધ્‍ધાર કરો. સત્‍ય પુરુષો સાથે સાત વાકયો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઇ જાય છે. બ્રહ્મન ! હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્‍વામી ! મારા પર કૃપા કરો.‘ મુનિ બોલ્‍યાઃ ‘ભદ્રે ! શુ કરું ? તે મારી વર્ષોની તપસ્‍યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ ! ફાગણમાસમાં કૃષ્‍ણપક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે ‘પાપમોચીની‘ એ શ્રાપથી મુકત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી ! એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે.‘ આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્‍યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઇને મુનિવર ચ્‍યવનજીએ પૂછયું. ‘પુત્ર ! આ શું કર્યું ? તેં તો તરા પૂણ્યનો નાશ કરી દીધો !‘ મેઘાવી બોલ્‍યાઃ ‘પિતાશ્રી ! મે અપ્‍સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે, હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઇ જાય !‘ ચ્‍યવનજી બોલ્‍યાઃ ‘પુત્ર ! ફાગણ માસમાં કૃષ્‍ણપક્ષમાં જે પાપમોચિની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઇ જશે.‘ પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્‍ટ થઇ ગયા. આજ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચિનીનું વ્રત કરવાથી એ પિશાચયોનીમાંથી મુકત થઇ અને દિવ્‍ય રૂપધારીણી શ્રેષ્‍ઠ અપ્સરા બનીને સ્‍વર્ગલોકમાં જતી રહી. શ્રીકૃષ્‍ણ કહે છેઃ રાજન ! જે મનુષ્‍ય પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, એમના બધાજ પાપો આપોઆપ જ નષ્‍ટ થઇ જાય છે. આ મહાત્‍મ્‍યના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે.. રાજન ! પાપમોચિની એકાદશી કરવી ઘણીજ અગત્‍યની છે.